વૈષ્ણવ ૧૦ - હરિવંશ પાઠક
કીર્તનના શબ્દો
॥ વાર્તા ૧૦ ॥
હવે શ્રીઆચાર્યજીના સેવક હરિવંશ પાઠક, સારસ્વત બ્રાહ્મણ કાશીના તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ -
ભાવપ્રકાશ: એ લીલામાં ગતિઉત્તાલિકા વિશાખાજીની સખી છે. સઘળી સેવાસામગ્રી તત્કાલ સિદ્ધ કરે છે. એમની ચાલ, એમની ક્રિયા ઉતાવળી છે. તેથી વિશાખાજી એમની ઉપર બહુ પ્રસન્ન રહેતા.
તે હરિવંશ પાઠક પહેલાં ગણેશના ઉપાસક હતા. તે જયારે શ્રીઆચાર્યજીએ - 'પત્રાવલંબન' ગ્રંથ કાશીમાં કર્યો અને પંડિતોને જીત્યા ત્યારે હરિવંશ પાઠકના મનમાં આવ્યું કે હું પણ શ્રીઆચાર્યજી મહાપ્રભુનાં દર્શન કરી આવું. દર્શન માટે આવ્યા ત્યારે વિપ્રરૂપ જોઈને મનમાં આવ્યું કે એ પણ બ્રાહ્મણ છે, અમે પણ બ્રાહ્મણ છીએ. એ પંડિત છે તેથી મારે એમનાથી શું કામ છે? મને ગણેશના દર્શનમાં ઢીલ થાય તે ઠીક નથી. એમ વિચારી દૂરથી જોઈને પાછા ફર્યા અને ઘરમાં આવી ગણેશની પૂજાનો સામાન લઈ ચાલવા લાગ્યા. પણ દ્વારા ઉપર ઠોકર વાગી તેથી પડી ગયા અને મૂર્છા આવી ગઈ. ગણેશ સ્વપ્નમાં હરિવંશ પાઠકને કહે, તું શ્રીઆચાર્યજીના દર્શન કર્યા વિના મારી પાસે આવતો હતો તેથી હું તારું મુખ નહીં જોઉં. તેં શ્રીઆચાર્યજીનો અપરાધ કર્યો છે. શ્રીઆચાર્યજી પૂર્ણ પુરુષોત્તમ છે, તેમની પાસે અપરાધ ક્ષમા કરાવી મારી પાસે આવજે. હરિવંશ પાઠકને શરીરની શુધ આવી એટલે શ્રીઆચાર્યજી મહાપ્રભુજી પાસે આવી દંડવત કરી વિનંતી કરી મહારાજ! આપ પૂર્ણ પુરુપોત્તમ છો એ મે જાણ્યુ.
હવે મારો અપરાધ ક્ષમા કરી મને શરણે લો. શ્રીઆચાર્યજી કહે, કેમ? અમે પણ બ્રાહ્મણ છીએ. તમે પણ બ્રાહ્મણ છો. શરણે આવવાનું કેમ કહો છો? હરિવંશ પાઠકે કહ્યું, મહારાજ! અમે તો અજ્ઞાની જીવ છીએ, સંસાર સમુદ્રમાં પડ્યા છીએ. તે આપના સ્વરૂપને શું જાણીએ? અમે તો ગણોશના ઉપાસક છીએ, તે ગણેશ પણ આપના અપરાધથી ડરે છે. તેથી મને આપની પાસે મોકલ્યો છે કે અપરાધ ક્ષમા કરાવીને આવો. તેથી મેં હવે જાણ્યું કે અમારાથી મોટા આપ છો, હવે મને શરણે લ્યો. શ્રીઆચાર્યજી શેઠ પુરુષોત્તમદાસને ત્યાં ઊતાર્યા હતા ત્યાં હરિવંશ પાઠકને નામ સંભળાવ્યું, હરિવંશ પાઠકે વિનંતી કરી મહારાજ! ઘરમાં સ્ત્રી છે, એક બેટો એક બેટી છે, તેનો અંગીકાર કરો. ભ શ્રીઆચાર્યજીએ ક્યું, તું ભગવત્સ્વરૂપ કોઈ જગેથી લાવ, પછી તારે ઘરે પધારી બધાને નામ નિવેદન કરાવી શ્રીઠાકુરજી પધરાવી દઈશ. તેમની તમે સેવા કરજો બીજાની સેવા ન કરતા. હરિવંશ પાઠકે કહ્યું, મહારાજ! પૂર્ણ પુરુષોત્તમ મળ્યા પછી એવો કોણ અભાગી છે કે બીજા દેવતાની પાછળ ભટકાશે? એમ કહી બજારમાં આવી કંઈ ન્યોછાવર દઈને નાનું સરખુ લાલજીનું સ્વરૂપ લીધું. પછી શ્રીઆચાર્યજી પાસે આવી વિનંતી કરી. મહારાજ! હવે કૃપા કરીને જલદી પધારો, કેમકે શરીરનો ભરોસો નહીં. અને જો કદાચિત કોઈનો કાળ આવી જાય તો જીવનું અકાજ થાય, આવી આરતી જોઈ શ્રીઆચાર્યજી મહાપ્રભુ પ્રસન્ન થઈ હરિવંશ પાઠકના ધરે પર્ધાયા બધી અપરસ સિદ્ધ કરાવી. બધા કુટુંબને નામ નિવેદન કરાવી, શ્રીઠાકુરજીને પંચામૃતથી સ્નાન કરાવી પાટ બેસાડ્યાં. પછી પોતે પાક કરી ભોજન કર્યું, બધાને જુઠણ ધર્યું. પછી પુરુષોત્તમદાસના ધરે પર્ધાયા.
પોતે પૃથ્વી પરિક્રમા માટે જયારે પધાર્યા ત્યારે હરિવંશ પાઠકને કહે કે સંદેહ હોય તો શેઠ પુરુષોત્તમદાસને પૂછી લેજે. તે હરિવંશ પાઠક સેવા સારી રીતિથી કરતા તેથી શ્રીઠાકુરજી સાનુભવતા જણાવવા લાગ્યા.
વાર્તાપ્રસંગ ૧: એક સમય હરિવંશ પાઠક પટણા વ્યવહાર માટે ગયા હતા તેમણે પટણાના હાકેમથી બહુ મેળ હતો. તે હાકેમ પોતાના મનમાં જાણે કે એ કંઈ માગે તો હું એમને દઉં તેથી એક દિવસ એ હાકેમે કહ્યું હું તમારા ઉપર ઘો પ્રસન્ન છું તેથી તમે જે કાંઈ માંગો તે હું દઉં. ત્યારે હરિવંશ પાઠકે કહ્યું, કોઈ દિવસ કંઈ કામ પડશે તો કહીશ. એમ કરતાં ડોલ ઉત્સવના દિવસો નજીક આવ્યા ત્યારે શ્રીઠાકુરજીએ હરિવંશ પાઠકને જણાવ્યું કે તું ડોલ મને નહીં ઝુલાવે? ત્યારે હરિવંશ પાઠકે મનમાં વિચાર્યું કે હવે શું કરીએ? દિવસ થોડા રહ્યા. ચાલીએ તો ન પહોંચાય. ત્યારે તે હાકેમ પાસે ગયા અને કહ્યું, કંઈ માંગુ છું, તે મને આપવું જોઈએ ત્યારે તે હાકેમે કહ્યું કે જે જોઈએ તે માગો. હરિવંશે કહ્યું કે મારે ત્રણ દિવસમાં કાશી પહોચવું છે. એટલે તે હાકેમે ઘોડાં અને મનુષ્યો સાથે આપ્યાં. તે મુકામે ઘોડાની ખેપ ઉપર જાય, ઘોડા અને મનુષ્ય બદલાતા જાય એમ કરતાં બીજા દિવસે કાશી આવી પહોંચ્યા. રાત્રિએ બધી ડોલની તૈયારી સિદ્ધ કરી રાખી અને બીજા દિવસે ડોલ ઝુલાવ્યા. બહુ સુખ થયું પછી દશપંદર દિવસ રહીને ફરી પટણામાં આવ્યા ત્યારે તે હાકેમે હરિવંશ પાઠકને પૂછ્યું, એવું ઘરમાં શું જરૂરી કામ હછું કે આ માંગ્યું? કંઈ દ્રવ્યાદિક માગતા તો. લાખ રૂપિયાનું ઇનામ આપત. ત્યારે હરિવંશ પાઠકે કહ્યું કે અમે ગૃહસ્થ છીએ, અનેક કામ ઘરના છે તેથી ગયો હતો. એ પ્રકારે પોતાનો ધર્મ ગોપ્ય રાખ્યો. એવા ભગવદીય હતા. તે પછી મોટા નાના ઉત્સવો ઘરે આવીને કરતા.
ભાવપ્રકાશ: આમાં આ સિદ્ધાંત જણાવ્યો કે સ્નેહી હોય તે ઉત્સવ પોતાના ઠાકુર પાસે કરે તો ઠાકુર પ્રસન્ન રહે. વળી શ્રીઠાકુરજીની સેવાનો પ્રકાર કોઈને કહેવો નહિ, જેમ હરિવંશ પાઠકે તે હાકેમને કંઈ ન કહ્યું. ઘરમાં પણ યદ્યપિ બધા વૈષ્ણવો હતા. તો પણ શ્રીઠાકુરજીના અનુભવની વાત ન કરી.
તે હરિવંશ પાઠક શ્રીઆચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા, તેથી એમની વાર્તાનો પાર નહીં, તે ક્યાં સુધી કહીએ || વાર્તા ૧૦ ।|