વૈષ્ણવ ૧૮ - દિનકરદાસ શેઠ
કીર્તનના શબ્દો
॥ વાર્તા ૧૮ ॥
હવે શ્રીઆચાર્યજીના મહાપ્રભુજીના સેવક દિનકર શેઠ ક્ષત્રી, પ્રયાગમાં રહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ -
ભાવપ્રકાશ: એ દિનકર શેઠ લીલામાં ભગવદ્સંબંધિની સખી શ્રીઠાકુરજીની છે. એને શ્રીસ્વામિનીજીથી બહુ પ્રીતિ છે. શ્રીઠાકુરજીની વાર્તા બધી પૂછતી શ્રીસ્વામિનીજી એને બેધી પોતાની પ્રીતિની વાત કહેતાં. લીલામાં એનું નામ 'મનઆતુરી' છે. સદા શ્રીસ્વામિનીજીની વાર્તા સાંભળી શ્રીઠાકુરજીને કહેતી. બંનેની વાર્તા સાંભળવમાં મન ખૂબ જ આતુર રહી ન શકે. વાર્તા સાંભળવાનું વ્યસન હતું. તેથી શ્રીઠાકુરજી અને શ્રીસ્વામિનીજીને પરમપ્રિય છે. તે દિનકર શેઠ પ્રયાગમાં એક મોટો દ્રવ્યપાત્ર ક્ષત્રી હતો તેના ઘરે જન્મ્યા. તે પાંચ વર્ષના થયા તે દિવસથી શ્રીઠાકુરજીની કથા-વાર્તા જ્યાં થાય, તે સાંભળવામાં એમનું મન લાગ્યું. પછી દશબાર વર્ષના થયા, ત્યારે ઘરેણા, કપડાં પોતાનાં તથા ઘરમાંજે હાથ લાગે તે કથા કહેવાવાળાને દઈ આવે. તેથી એમનાં મા-બાપ તથા ત્રણ ભાઈ હતા, તે બધા દિનકર શેઠને ચોર કહેતા. ઘરમાં એનો વિશ્વાસ ન કરતા. એક સમય દિનકર શેઠના મોટા ભાઈનું લગ્ન હતું તેથી એને પણ સુંદર જરીનો વાઘો, (વસ્ત્ર) ચીરો (લહેરિયાદાર પાઘ) વગેરે આભૂષણો પહેરાવ્યા. ઘોડા ઉપર ચડાવ્યા અને જાનમાં લઈ ચાલ્યા.
ત્યારે દિનકર શેઠના મનમાં આવ્યું કે આજ જો ભાગવાનો મોકો પડે તો આ બધું કથા કહેવાવાળાને આપી આવું. પછી જયારે જાન છોકરીવાળાના દ્વારે ગઈ ત્યારે બધા કુટુંબીજનો લગ્નના કાર્યમાં લાગ્યા. દિનકર શેઠ ભાગીને દશ-પાંચ કથા કહેવાવાળાના ઘરે જઈ તેમતે બધાં આભૂષણ-વસ્ત્ર વહેંચી આપ્યાં અને કહ્યું કે અમારા ભાઈઓ પિતા, કુટુંબી કોઈને કહેશો નહીં. દિનકર શેઠ ધોતી પહેરી ઘરમાં આંવી બેઠા. ત્યારે માતાએ પૃછ્યું, આભૂષણ વસ્ત્ર ક્યાં છે?
પિતાએ ખોળતા ખોળતા આવીને દિનકર શેઠને બહુ માર્યા. ત્રણ દિવસ સુધી કોઠામાં પૂરી રાખ્યા પરંતુ દિનકર શેઠ બોલ્યા નહીં. કંઈ ન બતાવ્યું ત્યારે પિતા-ભાઈ હાર માનીને બેસી રહ્યા. દિનકર શેઠ આખો દિવસ કથા વાર્તા સાંભળે. જ્યાં જાય ત્યાં શ્રોતા અને વક્તા એમને શેઠ કહે, એમની વડાઈ કરે. અને લોકોમાં, જ્ઞાતિમાં તથા કુટુંબીઓમાં એને ચોર કઢહે. તે પ્રમાણે દિનકર શેઠ કહેવાયા. હંમેશાં સાંજે ઘરે આવે ત્યારે બાપ ખાવાનું દે તે ખાય, જેવું પહેરવાનું દે તેવું પહેરે. સાંજે એક વખત ખાય. કથા કહેવાવાળાના ઘરે કે કોઈ જગે પહેરવાનું દે તેવું પહેરે. કથા કહેવાવાળાના ઘરે કે કોઈ જગે જાગરણ હોય, ભગવદ્વાર્તા હોય તો ત્યાં જ સૂઈ રહેતા. માતાપિતા ઘરમાં રહેવા ન દે, કેમ કે વસ્તુ નજરે પડશે તો ચુકાવીને લઈ જશે. જ્ઞાતિમાં તેઓ ચોર કહેવાયા. તેથી એમનું લગ્ન ન થયું.
એમ કરતાં માતા-પિતા રહ્યા ત્યાં સુધી ખાનપાનનું ચાલ્યું. માતાપિતા મર્યા ત્યારે ભાઈથી ન બને! એટલે દિનકર શેઠે વિચાર્યું, હવે આ ગામ છોડીએ તો સારુ. પ્રાતઃકાલ ત્રિવેણી ન્હાવાને ઘાટ ઉપર દિનકર શેઠ આવ્યા. અહીં શ્રીઆચાર્યજીએ અડેલથી કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે શહેરમાંથી બે-ચાર રૂપિયાની ખાંડ લઈ આવો. કૃષ્ણદાસ મેઘન ત્રિવેણીમાં આવ્યા. તેઓ સ્નાન કરતા હતા ત્યારે દિનકર શેઠે કૃષ્ણદાસજીને કહ્યું, તમે કોણ છો! કૃષ્ણદાસે પૂછ્યું, તમે કોણ છો! અમને પૂછો છો તે તમારે કંઈ કામ છે? દિનકર શેઠએ કહયું, આ ગામ છોડવું છે, તેથી તમને પરદેશી જાણીને પૂછ્યું. કોઈ ભગવદ્વાર્તા કથા આવડતી હોય તો હું એમની સાથે જઉં. મારા ઘરમાં દ્રવ્ય ઘણું છે. માતાપિતા હતા ત્યાં સુધી નિર્વાહ થયો, હવે ત્રણ ભાઈ છે તે મને ચોર કહી ખોટાં વચન કહે છે. મારું લગ્ન થયું નથી તે ઠાકુરે સારું કર્યું. કૃષ્ણદાસ તેને દૈવી જાણીને કહે, 'તમારે કથા સાંભળવાનું વ્યસન છે તો અડેલમાં શ્રીઆચાર્યજીના શ્રીમુખની કથા તોએક દિવસ સાંભળો.' પછી જ્યાં મન હોય ત્યાં જજો.
દિનકર શેઠ એટલું સાંભળીને તુર્ત જ ત્યાંથી નાવ ઉપર ચઢી અડેલ આવ્યા. તે સમયે શ્રીઆચાર્યજી પોઢીને જાગ્યા હતા. પ્રહર સવા દિવા દિવસ પાછલો હતો ત્યારે દિનકર શેઠે દંડવત્ કર્યા. શ્રીઆચાર્યજીએ કહ્યું, આવો દિનકર શેઠ! બેસો, કથા સાંભળો. પછી પોતે દસમસ્કંધમાં 'ભ્રમર ગીત'નું વ્યાખ્યાન કર્યું. તે સાંભળી દિનકરદાસની આંખોમાંથી આંસુનો પ્રવાહ વહ્યો. મનમાં કહે, હાય, આટલા દિવસ મારા વૃથા ગયા. હવે તો એમની શરણે જઈ સદા એમની પાસે રહી કથામૃતનું પાન કરું. પછી કથા થઈ ચૂકી ત્યારે દિનકર શેઠે વિનંતી કરી, મહારાજ! મને કૃપા કરીને શરણે લો. શ્રીઆચાર્યજીએ કહ્યું તમે કથા તો સાંભળી પરંતુ હજુ સુધી સેવક કેમ નહીં થયા? તમને મોટા મોટા પંડિત-સ્વામી મળ્યા, તેમના સેવક કેમ નહીં થયા? દિનકર શેઠે કહ્યું, મહારાજ! જેટલા સ્વામી પંડિત મળ્યા તેટલા દ્રવ્યથી સંગી મળ્યા. જયાં સુધી ભેટ કરી ત્યાં સુધી પ્રીતિ બહુ જ કરતા. હવે કોઈ મારાથી બોલતું નથી! આપ સાક્ષાત ભગવાન છો, હું કોઈ બીજા દેશમાં જતો તો મારો જન્મ બગડતો.
હવે મારો ઉદ્ધાર કરો, મારે કોઈ લૌકિક પ્રતિબંધ નથી. શ્રીઆચાર્યજી કહે શ્રી યમુનાજીમાં બધા કપડાં સહિત નહાઈ આવો. ત્યારે દિનકર શેઠ ન્હાઈ આવ્યા. એટલે શ્રીઆચાર્યજીએ નામ-નિવેદન કરાવ્યુ, પછી આપ કહે ભગવત્સેવા કરો. દિનકર શેઠે કહ્યું, મહારાજ! આપ તો અંતઃકરણી જાણ છો. હું તો આપના મુખથી કથા સાંભળીશ, એમાં બધી સેવ છે. શ્રીઆચાર્યજી કહે ભલે, અમારી સાથે રહો, દિનકર શેઠ પાસે સો રૂપિયા હતા તેમાંથી પચાસ શ્રીઆચાર્યજીની ભેટના ધર્યા, અને પચાસ રહ્યા તેમાં નિત્ય અંગાખરી-દાળ કરતા અને નિર્વાહ કરતા.
વાર્તાપ્રસંગ ૧: તે દિનકરદાસની કથા ઉપર બહુ જ આસક્તિ હતી. શ્રીઆચાર્યજી મહાપ્રભુ આપ નિત્ય અડેલમાં કથા કહેતા. હવે એક દિવસ દિનકર શેઠ શ્રીયમુનાજીના તીરે રસોઈ કરવાને ગયા, ત્યાં ન્હાઈને ચુન બાંધી અંગાખરી વણીને પાતળ ઉપર ધરી અને તે શેકવા માટે છાણાં ચેતાવ્યા. તે જ સમયે શ્રીઆચાર્યજીનો એક જલધરીયો જલ ભરવા આવ્યો. તેને દિનકરદાસે પૂછયું કે શ્રીઆચાર્યજી મહાપ્રભુજી પોતે શું કરે છે? ત્યારે જલધરીયાએ કહ્યું, શ્રીઆચાર્યજીએ પોથી ખોલી છે, હવે કથા કહેશે. ત્યારે દિનકર શેઠે એ જલધરીયાનાં વચન સાંભળતાં જ કાચી લીટી ખાઈને જલપાન કર્યું, શેકી નહીં. અને તરત જ આવીને કથા સાંભળી, પછી શ્રીઆચાર્યજી કથા કહી ચૂક્યા ત્યારે જલધરીયાએ શ્રીઆચાર્યજીને કહ્યું મહારાજ! દિનકર શેઠ કાચી અંગાખરી, વિના શેકેલી ખાઈને આવ્યા છે. શ્રીઆચાર્યજીએ દિનકર શેઠને પૂછવું કે વિના શેકી કાચી અંગાખરી કેમ ખાધી? દિનકર શેઠ બોલ્યા, મહારાજ! અંગાખરી તો નિત્ય શેકીને લઈશ પરંતુ આપના મુખથી કથામૃત ક્યારે સાંભળીશ? જો અંગાખરી શેકતો, તો આ અમૃત કેવી રીતે મળતું? શ્રીઆચાર્યજી બહુ પ્રસન્ન થઈને કહે, આજ પછી રસોઈ સિદ્ધ કરી ભોગ ધરીને મહાપ્રસાદ લઈને આવજો. જ્યારે તમો આવશો ત્યારે કથા કહીશ, તમારા આવ્યા વિના કથા નહીં કહું. આજથી મુખ્ય કથાના શ્રોતા તમે છો. તે પછી દિનકર શેઠ પણ જલદી રસોઈ કરતા, કેમ જે પોતાના માટે શ્રીઆચાર્યજી બેસી રહે તે ઠીક નહીં અને કોઈ દિવસ રંચક વાર પણ થાય તો દિનકર શેઠ આવે ત્યારે પોતે કથા કહેતા.
ભાવપ્રકાશ: આમાં એ સિદ્ધાંત થયો કે કાચી અંગાખરી અસમર્પિત ખાધાનો મહાદોષ છે. પરંતુ શ્રીઆચાર્યજીની કથામાં દઢ સ્નેહ છે, તેને માટે લીધી તેથી બાધક નહીં, અને શ્રીમહાપ્રભુજી પણ પ્રસન્ન થયા. શ્રીઆચાર્યજીમાં દઢ સ્નેહ હોય તેને કોઈ દોષ બાધક ન થાય એ જણાવ્યું.
પછી જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી શ્રીઆચાર્યજીના મુખની કથા સાંભળી રાત્રિદિવસ લીલાની ભાવનામા મગન રહેતા. લીલામાં પણ શ્રી સ્વામિનીજી જેમ એમનાથી બધી વાર્તા કરતા તે જ પ્રમાણે શ્રીઆચાર્યજીએ પણ કથા સંભળાવી પોતાના સ્વરૂપનો અનુભવ જણાવ્યો. દિનકર શેઠ એવા ભગવદીય હતા તેમની વાર્તાનો પાર નથી.
ભાવપ્રકાશ: એમની વાર્તામાં એ સિદ્ધાંત વૈષ્ણવોને જણાવ્યો કે કથા સાંભળવાનું મન હોય તો પહેલાં જલદી રસોઈ કરી શ્રીઠાકુરજીને પહોંચીને જઈએ. શ્રીઆચાર્યજી 'ભક્તિવર્ધ્ધની'માં કહે છે કે 'સેવાયાં વા કથાયાં વા, યસ્યાસક્તિદ્રઢા ભવેત્' પ્રથમ સેવા છે, પછી કથા છે. બંને વડે પ્રભુમાં સર્વોપરી આસક્તિ દિનકર શેઠની થઈ, જે વડે તેમની લીલામાં પ્રાપ્તિ થઈ. ॥ વાર્તા ૧૮ ॥